ઝળહળ
પત્રમાં વાદળ લખું
બસ પ્રિયે કાગળ લખું
ઘાસપર ઝાંકળ લખું
મ્હેકતી લ્યો પળ લખું
ઊંટના પગલાં ગણું
રેત પર મૃગજળ લખું
શબ્દમાં ટહુકા ભરી
સપ્તરંગી જળ લખું
આટલું તારા વિશે,
મૌનમાં ઝળહળ લખું.
- નેહા ત્રિપાઠી
એક પીંછી
એક પીંછી રંગમાં બોળી પછી,
દૅશ્યની આવી ચડી ટોળી પછી.
સાવ હળવા ફુલ જેવા થઇ ગયા,
એક ઇચ્છાને મેં ફંગોળી પછી.
ભીંત ભૂલ્યાનો થયો અહેસાસ જ્યાં,
મેં જ મારી જાતને ખોળી પછી.
એક પછી એક કાચળી ઊતરી ગઇ,
લાગણીને એમ ઢંઢોળી પછી.
એજ કરતી હોય છે સજા પછી,
આંખ બનતી હોય છે ભોળી પછી.
- અજ્ઞાત
વાસ્તવિકતા
સવારે
ફલાવર વાઝમાં
મલપતાં ફુલો જોઇને ઉત્સાહમાં
મેં
બારીના પડદા ખોલ્યો તો –
ડાળે કાંટાને વળગી એક પંતગિયું
ધ્રુસકે ધ્રુસકે રડતું હતું.
-પ્રીતમ લાખાણી
ર્દશ્યો
ર્દશ્ય
આંખની સામે ઊભરાય છે ર્દશ્યો
ર્દશ્યોનો શાંત સમુદ્ર………….
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
ર્દશ્યમાંથી અર્દશ્ય તરફ જવાની
શાંત ધીમી લાવણ્યમય ગતિ.
- અજ્ઞાત
એક નવી અભિવ્યક્તિ
વિવિધ ભાષા, સાહિત્ય અને અનેક વિષયી વિચારોને વાચા આપતા બ્લોગરોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. આ વિશાળ દરિયામાં એક નવા મોતીનો ઉમેરો મારી જાણમાં છે. તે છે નવો ગુજરાતી બ્લોગ “જયદીપનું જગત” કે જેના પર તેમને પોસ્ટ કરેલી ગુજરાતી સાહિત્ય જગતની વિવિધ રચનાઓ જાણી અને માણી શકશો.
Just Visit :http://jaydeep.wordpress.com/
મારો પરિચય
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાબુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે
- બરકત વિરાણી ‘બેફામ’
શ્રીમદ્ ભગવદ્ ગીતા
પ્રિય વાંચકમિત્રો,
જનમાષ્ટમીના પવિત્ર પર્વે સૌને નેહાના જયશ્રી કૃષ્ણ.આ શુભ અવસર નિમિત્તે આજે ગુજરાતી વાંચકમિત્રો સમક્ષ નવો બ્લોગ પ્રગટ કરું છું. કે જેનો મોટાભાગનો શ્રેય મારા વડીલમિત્ર શ્રી જાગૃતિ ત્રવાડીના ફાળે જાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાને કોમ્પ્યુટરાઇઝડ કોપી કરવામાં તેમની મદદ ઉલ્લેખનીય છે.
વધુ માહિતી માટે જુઓ : http://bgita.wordpress.com
વાર નથી લાગતી
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી
કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી
જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર
જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી
તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર
કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી
બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર
કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી
માણી લે હર એક પળ તું આજે
આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી
- અલ્પેશ શાહ
કોણ ગયું ઝબકાવી ?
જીવનનાં ઘડતરના પાયામાં રહેલા એ સ્કુલના દિવસો યાદ કરતાં ઘણુંય યાદ આવી જાય છે. એ દિવસોમાં કયારે, કોણ, જાણ્યે-અજાણ્યે અંદર રહેલી મૃતશકિતઓને સજીવન કરીને ગતિમાં વેગ આપીને પસાર થઇ ગયું તેની જાણ પણ ના થઇ.
એમાંનુ એક વ્યકતિત્વ આજે પણ સ્મૃતિમાં એટલું જ જીવંત છે. એ છે..!! મારા સંગીતના શિક્ષિકા શ્રી જયશ્રીબેન પાઠક. સંગીતની સુરાવલી શીખવા માટે સાંપડેલા તેમનાં સહવાસે મને સુર અને તાલ સિવાય બીજા અનેક જીવનરૂપી રાગો શીખવ્યા હતાં.
આજે વર્ષો પછી સવારે, અધૂરા સુરે હોઠે આવેલી ઊર્મિગીતની પંકતિઓને તેમનાં અવાજે સંભળવાની તીવ્ર ઇચ્છાએ મને એમની મુલાકાત કરાવી. સાહિત્ય અને સંગીતના સુભગ સમન્વયથી બાગેશ્રી રાગમાં રચાયેલી મારાં ગમતાં ઊર્મિગીતની આ પંકતિઓ તમને પણ ગમશે તે આશાથી અહીં રજુ કરું છું.
………….
એક સવારે આવી મુજને
કોણ ગયું ઝબકાવી ?
વસંતની ફૂલમાળા પહેરી
કોકિલની લઇ બંસી
પરાગની પાવડિયે આવી
કોણ ગયું ઉર પેસી મુજને
……કોણ ગયું ઝબકાવી ?
તેજ સુધામાં ચિત ડુબાડી
ઉર નાખ્યું મુજ કોરી
કિરણ કંદુકે રમાડતું મને
કોણ રહ્યુ કિલ્લોલી મુજને
……કોણ ગયું ઝબકાવી ?
એક સવારે આવી …..
- શ્રી શંકર ગણપત વ્યાસ
ઝરણની સભા
છેલ્લે ખારાં સમંદરની વાત કરી ને અટકેલી હું ,આજે એ જ ઝરણની સભા ની વાત સાથે આગળ વધુ છું.તે અનેક નદીઓને પોતાનાં સમાવીને બેઠો હોવા છતાં મૂળમાં રહેલી તેની ખારાશ, એ સરીતાકેરાં મીઠાં જળને પણ ખારાં બનાવી દે છે.!! જેમ કે આજનો મનુષ્ય….!!જીવનમાં અનેક સુખ અને દુ:ખ અનુભવતો પામર માનવ આખરે થોડું પણ દુ:ખ આવતાં
સુખની એ અમૂલ્ય ક્ષણો ભૂલાવીને પોતાના સમગ્ર અસતિત્વ ને શોકમય બનાવી મૂકે છે.
ક્યાંક ઘૂઘવાતો એ ક્યાંક અંત્યત શાંત જોગી જેવો જણાય છે. એવા દરિયાનાં વિવિધ રૂપ
વિશેની કવિઓ દ્રારા લખાયેલી કેટલીક પંક્તિઓ રજુ કરી રહી છું
ફકત ખારાશ એની ખૂંચે છે,
બાકી આ દરિયો છે ઝરણની સભા.
- શોભિત દેસાઇ
…………
દિલના દરિયે ડૂબકી દઇને,
મોંઘુ મોતી લૂંટી લઇએ.
- દફન વિસનગરી
…………
અશ્રુનું ઊંડાણ માપી ના શક્યો,
ભૂરા ભૂરા દદૅના દરિયા મળ્યા.
- મનહરલાલ ચોકસી
…………
બડો ચબરાક છે સંગ એનો કરવો નથી સારો,
નદી જેવી નદીને પણ ભગાડી જાય છે દરિયો.
- અમૃત ઘાયલ
…………
દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઇશ’
ક્યારેક ખાલી નાવમાં ઉત્પાત હોય છે.
- રઇશ મણિયાર
…………
સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને
ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી.
- નઝીર ભાતરી
…………
કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,
એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે.
- મરીઝ
…………
મિત્રો ! લખવાની કોશિશતો કરી છે, પણ મનની વાતને વાચા આપતી પંક્તિઓને કદાચ
સભાન પ્રયત્નોને લીધે યોગ્ય રીતે ગોઠવી શકી નથી…અધૂરી આ રચના ને પૂરી કરવામાં
આપના સૂચનો ની રાહ રહેશે.
સરિતાકેરાં મીઠા જળ પામીને પણ,
અસંતૃપ્ત રહેલો એ દરિયો,
ખારાશ જ જોનાર ને કહેતો’તો
મીઠા બનવાની પ્યાસતો મને પણ છે !
- નેહા ત્રિપાઠી
…………
કાંઠે બેઠેલી, મુજ મૃદુ ઉરને સ્પર્શી ગયો
પળમાં અતીતના પગલાંને ભરખી ગયો
આવ્યો’તો પાસ મુજ ભરતી તણાં મોજાં લઇને
સ્મૃતિ કાજે કિનારે છીપલાં એ છોડી ગયો
દૂરથી હમેંશ દેખાતો’તો જે મને ઘેરો,
આજે પાસે આવતાં એજ લાગ્યો અનેરો.
- નેહા ત્રિપાઠી
આંખ કેરું જળ
અશ્રુની વાત ટૂંકમાં કેવી રીતે કહું ?
એ દોસ્ત, એ તો ખારા સમંદરની વાત છે….
- નેહા ત્રિપાઠી
……..
ખબર નહોતી તમે મુજ આંખ કેરું જળ બની જશો,
અમે માન્યા હતાં કંકુ, તમે કાજળ બની જશો.
કિનારો જાણીને મેં ડુબકી મારી તમારામાં,
ખબર નહોતી તમે મઝદાર કેરું જળ બની જશો.
- શ્રી છોટાભાઇ ભાવસાર
……..
હદય જો રડે અશ્રુમોતી ઝરે,
પછી એમાં થોડુંક અમૃત વહે.
- શ્રી એન. ડી. ભાવસાર
……..
હસ્તરેખામાં સમયનું રણ હતું,
મૃગજળોની પાંપણે જળ પણ હતું.
- અજ્ઞાત
……..
આંખો નહીં તો આમ ના વરસે રહી રહીને,
ચોકકસ હજીય ક્યાંક લાગણીની હવા છે !!
- અજ્ઞાત
એક વેલીને..
સ્વ. શ્રી ‘કલાપી’ની બીજી એક હ્દયને સ્પર્શી ગયેલ કૃતિ…..
ધીમે ધીમે કુંપળ કુંપળે પત્ર પત્રે વળીને,
ટીશી ટીશી તરુવિપટમાં ગૂંથણી કાંઇ ગૂંથે;
મીઠી વેલી ! તુજ વળ દિસે નિત્ય નિત્યે નવીન!
તહારૂં હૈયું વધુ વધુ સદા સ્નેહમાં થાય લીન !
ન્હાની ન્હાની તુજ ગતિ સમો રાહ આ ઝિન્દગીનો,
તોફાનો કે ભભક રવિની કોઇ દી માત્ર ભાસે;
તહારી પાસે ગણગણ થતા જંતુઓ નિત્ય ગુંજે,
મ્હારી પાસે જગત સઘળું નિત્ય ગુંજયા કરે છે.
પણૉ તાજાં ચડી, ખરી, ચડે એકની એક ડાળે,
ને આલમ્બે તરુવર તણો નિત્યનો એક તહારે;
ટેકો મ્હારો મુજ હદયની એક મૂતિ પરે છે,
તે પાસેથી સુખદુ:ખ સદા જાય ચાલ્યાં ઝપાટે.
તું પત્રો ના તુજ કદિ ગણે, હું ય મ્હારાં ગણું ના,
કિંતુ તેનો કુદરત મહીં કાંઇ છૂપો હિસાબ;
કયાં? શા માટે? પ્રભુ વિણ નકી કોઇ જાણી શક્યું ના,
ઊડાં કાવ્યો, ફિલસુફી વળી કાંઇ શંકા જ માત્ર !
તુંમાં હુંમાં …અરરર! પણ આ કાંઇ જુદું જ ભાસે,
તહારા મ્હારા પથ મહીં દિસે ભિન્નતા એક ઊંડી;
તું ચાલે છે સતત ગતિએ, કૂદતો ચાલતો હું,
ધક્કા મારે કુદરત મને, દોરતી માત્ર તુંને.
હું ચોટું છું મુજ જિગર જ્યાં એક દી શાંતિ પામે,
નિ:શ્ર્વાસો સૌ જનહદયના ભૂત કાલે વિરામે;
નિમૉયો છે તુજ જીવનને એકલો વતૅમાન,
’ઊંચે જાવું’ તુજ હદયને એટલું માત્ર ભાન.
-સુરસિહંજી તખ્તસિહંજી ગોહેલ ‘કલાપી’
(’કલાપીનો કેકારવ’..2000, પૃષ્ઠ 215 )
વીત્યા ભાવો
થોડા દિવસથી પ્રણયકવિ ‘કલાપી’ નો કાવ્યગ્રંથ ‘કલાપીનો કેકારવ’ વાંચવાનો અવસર સાંપડ્યો છે. આની પહેલા મેં એકસાથે આટલી બધી સ્નેહ અને અનુકંપાભરી કૃતિઓ જોયી નથી કે નથી વાંચી, બુધ્ધિથી ગુંગળાયાવિનાની નિરંકુશ ઉર્મિ ઓ તેમના પ્રત્યેક સજૅનમાં જોવા મળે છે. તેમાંથી ખૂબ જ ગમી ગયેલ એક કાવ્ય…..
વીત્યા ભાવો હજુ મ્હારા છે :
આગ મહીં થંડા ક્યારા છે :
આંસુ તો સુખની ધારા છે :
આ હૈયાને બીજું શું ?
તું એ મીઠા ભાવો સ્મરજે :
તેને સ્મરતાં સ્મરતાં મરજે :
હૈયાફાટ સદા વા રડજે :
રે રે ! બીજું શું?
-સુરસિહંજી તખ્તસિહંજી ગોહેલ ‘કલાપી’
(’કલાપીનો કેકારવ’..2000, પૃષ્ઠ 367 )
સ્પષ્ટતા
પ્રિય વાંચકમિત્રો,
‘આંસુ’ વિશે ક્યાંક વાંચેલી રચનાઓ મારા શબ્દોમા છે,શક્ય છે કે તે મૂળ રચના સાથે અપૂણૅપણે સામ્યતા ધરાવતી હોઇ શકે.વાંચકોના પ્રતિભાવના સંદૅભમાં આ સ્પષ્ટતા કરવી
ઉચિત લાગે છે.‘નેહાના કાવ્યસંગ્રહમાંથી…..’પ્રગટ થેયેલી રચનાઓ પર સંપૂણૅ હકો મારા
રહેતા નથી.આગળથી મારા બ્લોગમાં દરેક કવિતામાં આપ સ્પષ્ટ રીતે કવિનું નામ જોઇ શકશો
કે જેથી સંશયોને અવકાશના રહે!!!
આપના પ્રતિભાવો મારે માટે અમૂલ્ય છે,અને સદાય એ જ અભ્યથૅના રહેશે કે તે સંશયમુકત સંપૂણૅ હોય.
- નેહા ત્રિપાઠી
આંસુ
આંસુ- બુંદ સ્વરૂપે આંખોમાંથી વ્હેતો લાગણીનો પ્રવાહ. !!
સાદગીમાં પણ સૌદયૅ હોય છે,
આંસુને ક્યા આભૂષણ હોય છે.
કહે છે વજન હોય છે,
એટલે આંસુ નીચે દડી પડે છે
પણ ખરાં વજનદાર આંસુઓ તો,
પોપચાંની ભીતરમાં છાનામાના તરે છે.
……
આ રખડતી સાંજ મારે બારણે આવી ગઇ
આંસુ થઇને યાદ તારી પાંપણે આવી ગઇ.
મેં તને ભૂલી જવાની લાખ કોશિશો કરી
યાદ તારી હરઘડીને હરક્ષણે આવી ગઇ
સ્મિત કરતું શિલ્પ હું કંડારવા મથતી રહી
જિદંગીભરની ઉદાસી ટાંકણે આવી ગઇ.
(નેહાના કાવ્ય-સંગ્રહ માંથી)


